T20 વર્લ્ડકપ વચ્ચે ભારતના સ્ટાર ક્રિકેટરે લીધો સંન્યાસ

ભારતના સ્ટાર ક્રિકેટર કેદાર જાધવે અચાનક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. 39 વર્ષીય કેદારે 3 જૂન (સોમવારે) સોશિયલ મીડિયા પર બપોરે 3 વાગ્યે પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. કેદારે ભારત માટે તેની છેલ્લી મેચ ફેબ્રુઆરી 2020માં ન્યુઝીલેન્ડ સામે રમી હતી.

કેદાર જાધવે સોશિયલ મીડિયા એપ X પર લખ્યું, ‘મારા સમગ્ર કરિયર દરમિયાન આપ સૌનો પ્રેમ અને સમર્થન મળ્યું તે માટે આપ સૌનો આભાર. આજે 3 વાગ્યાથી હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત જાહેર કરુ છું.’

કેદાર જાધવે વર્ષ 2014માં શ્રીલંકા સામેની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેમજ કેદાર જાધવે ભારત માટે 73 ODI મેચ રમી હતી. જેમાં તેણે 42.09ની એવરેજથી 1389 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 101.60 રહ્યો છે. કેદાર જાધવે વન ડેમાં 2 સદી અને 6 અડધી સદી ફટકારી હતી.

2015માં ઝિમ્બાબ્વે સામે T20થી આંતરરાષ્ટ્રીય શરુઆત

કેદાર જાધવે વન ડે ઈન્ટરનેશનલમાં પોતાની સ્પિનનો જાદુ બતાવતા તેણે 27 વિકેટ પણ લીધી. કેદાર જાધવે 2015માં ઝિમ્બાબ્વે સામેની મેચથી તેની T20 આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. કુલ 9 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેદાર જાધવે 20.33ની એવરેજથી 122 રન બનાવ્યા છે.

Leave a comment