સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સના ટ્રેડિંગમાં ફ્રોડ રોકવા માટે ધોરણોમાં સુધારો કર્યો

ફંડ્સમાં ફ્રન્ટ રનિંગ, ઇનસાઇડર ટ્રેડિંગ રોકવા સેબી એક્શનમાં આવી છે અને નિયમોમાં સુધારા કર્યા છે. સેબીના બોર્ડે મ્યુચ્યુઅલ ફંડને સંચાલિત કરતા ધોરણોમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે, જ્યાં એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ માર્કેટમાં ફ્રન્ટ રનિંગ અને સિક્યોરિટીઝમાં ફ્રોડને ઓળખીને તેને રોકવા માટે સંસ્થાકીય મિકેનિઝમ લાગૂ કરવું પડશે.

બોર્ડની બેઠક બાદ સેબીએ જણાવ્યું હતું કે માર્કેટમાં ફ્રન્ટ રનિંગ, ઇનસાઇડર ટ્રેડિંગ અને સંવેદનશીલ માહિતીના દૂરુપયોગ સહિતની કેટલીક અન્ય ગેરવર્તણૂકની ઓળખ, મોનિટરિંગ અને ઉકેલ માટે મિકેનિઝમમાં મજબૂત સર્વેલન્સ સિસ્ટમ, આંતરિક નિયમનની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. VCFના ધોરણો હેઠળ નોંધાયેલા વેન્ચર કેપિટલ ફંડ્સ જે સ્કીમના સમયગાળા દરમિયાન રોકાણનો સમગ્ર રીતે ઉપયોગ કરવામાં સક્ષમ નથી અને આ સમસ્યાના નિરાકરણ માટે સેબીના બોર્ડે આ પ્રકારના વેન્ચર કેપિટલ ફંડ્સને AIF હેઠળના નિયમોમાં માઇગ્રેટ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે અને વેન્ચર કેપિટલ ફંડ્સ પણ હવે વધુ સુવિધાનો ઉપયોગ કરી શકશે.

ગિફ્ટ સિટી ખાતેના વિદેશી ફંડ્સ NRI પાસેથી વધુ રોકાણ લઇ શકશે

સેબીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલા વિદેશી ફંડ્સ હવે NRI તેમજ અન્ય ભારતીય મૂળના લોકો પાસેથી સંપૂર્ણ રોકાણ લઇ શકશે. જો કે, સિંગલ ઇન્ડિયન ગ્રૂપમાં ઇક્વિટી એસેટ્સ અંડર મેનેજમેન્ટનો હિસ્સો 33%થી વધુ રહેશે તો ફંડ દ્વારા તે રોકાણકાર અંગેની માહિતી આપવી અનિવાર્ય રહેશે. તે ઉપરાંત જો ફંડ તેના રોકાણના ગ્રૂપ સાથે ભારતીય માર્કેટમાં ઇક્વિટી AUMના $3 અબજનું રોકાણ ધરાવે છે તો પણ તેની માહિતી આપવી અનિવાર્ય રહેશે.

Leave a comment