સામાન્ય વ્યક્તિ અને મોટાભાગના પગારદારો સુરક્ષિત રોકાણ યોજનામાં રોકાણ કરતાં હોય છે. જેમાં સૌથી પ્રચલિત યોજના બેન્ક એફડી છે. પરંતુ શું તમે જાણો છે, સરકાર અને બેન્કની અન્ય ઘણી યોજનાઓ છે, કે જેમાં તમે બેન્ક એફડી કરતાં વધુ રિટર્ન મેળવી શકો છે. જે તમારા નાણાકીય લક્ષ્યોને ઝડપથી પૂરા કરવામાં મદદ કરી શકે છે.
પોસ્ટ ઓફિસ દ્વારા નાની બચત યોજનાઓમાં 8 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે. જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સહિતની યોજના સામેલ છે. જ્યારે બેન્ક એફડીમાં 4થી 7 ટકા સુધી વ્યાજ મળે છે. ઉલ્લેખનીય છે, વિવિધ બેન્કોના એફડી વ્યાજદર જુદા-જુદા છે.
| યોજના | વ્યાજ |
| સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમ | 8.2 ટકા |
| સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ | 8.2 ટકા |
| નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ | 7.7 ટકા |
| કિસાન વિકાસ પત્ર | 7.5 ટકા |
| મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ | 7.5 ટકા |
| મંથલી ઈનકમ એકાઉન્ટ | 7.4 ટકા |
| 5 વર્ષની ડિપોઝીટ | 7.5 ટકા |
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટમાં 6.7 ટકા વ્યાજ
indiapost.gov.in.ની વેબસાઈટ અનુસાર, પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટમાં વાર્ષિક 6.7 ટકા વ્યાજ મળી રહ્યું છે. સરકાર સમર્થિત ઈન્ડિયા પોસ્ટની આ યોજનામાં માસિક રૂ. 100 કે તેથી વધુ રોકાણ કરી શકાય, જેનો મેચ્યોરિટી પિરિયડ પાંચ વર્ષ છે. રોકાણકાર 3 વર્ષ બાદ પોતાની ડિપોઝિટ પાછી ખેંચી શકે છે.
કેવી રીતે ખાતુ ખોલાવશો
નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ ચેક કે રોકડ મારફત પોસ્ટ ઓફિસમાં બચત યોજના માટે ખાતુ ખોલાવી શકો છો. જેના માટે એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ, કેવાયસી ફોર્મ (નવા ગ્રાહકો માટે), પાન કાર્ડ, આધાર કાર્ડ, જન્મનો દાખલો વગેરે ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. ઈ બેન્કિંગ મારફત પણ ઉપરોક્ત ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી નાની બચત યોજનાનો લાભ લઈ શકો છો. ઈ-બેન્કિંગ હેઠળ રિકરિંગ ડિપોઝીટ અને ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવી શકો છો. જેમાં બચત યોજના પર લોન પણ મેળવી શકો છો.
