ભારતે UNમાં પાકિસ્તાનનો ચહેરો બેનકાબ કર્યો

પાકિસ્તાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારતના પ્રતિનિધિ હરિવંશ નારાયણ સિંહે સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (આઈપીયુ) એસેમ્બલીની બેઠકમાં આનો વિરોધ કર્યો હતો.

હરિવંશે કહ્યું- હું પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ કરવામાં આવેલી વાહિયાત ટિપ્પણીઓને નકારું છું. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને તે મારું સદ્ભાગ્ય છે કે ઘણા લોકો ભારતને એક મોડેલ તરીકે જુએ છે. એવામાં તે દેશમાંથી ભાષણ મળવું, જેનો લોહશાહીનો રેકોર્ડ તદ્દન ખરાબ છે તે ખૂબ જ હાસ્યાસ્પદ છે.

સોમવારે પાકિસ્તાને પોતાના ઘરેલુ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે IPUમાં ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. IPU એક એવી સંસ્થા છે જે વિશ્વભરની સંસદોને એકસાથે લાવવાનું કામ કરે છે.

ભારતે કહ્યું- સૌથી વધુ આતંકવાદી સંગઠનો પાકિસ્તાનમાં

ભારતીય પ્રતિનિધિએ જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરીને IPUને આતંકવાદ પર પાકિસ્તાનના નબળા રેકોર્ડની યાદ અપાવી. તેમણે કહ્યું- આ એ જ દેશ છે જ્યાં ઓસામા બિન લાદેન મળ્યો હતો. પાકિસ્તાનનો રેકોર્ડ છે કે અહીં સૌથી વધુ આતંકી સંગઠનો જોવા મળે છે. મને આશા છે કે પાકિસ્તાન પોતાના નાગરિકોના કલ્યાણ માટે કેટલાક પાઠ શીખશે.

પાકિસ્તાનના નિવેદન પર હરિવંશે આગળ કહ્યું- પાકિસ્તાને આ પ્લેટફોર્મનું મહત્ત્વ સમજવું જોઈએ અને અહીં વાહિયાત આરોપો લગાવવાથી બચવું જોઈએ. જમ્મુ અને કાશ્મીર હંમેશાથી ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે. કોઈપણ પ્રચાર આ હકીકતને બદલી શકે નહીં. આવી સ્થિતિમાં પાકિસ્તાન માટે સારું રહેશે કે તે આતંકવાદીઓને આશ્રય આપીને કાશ્મીરમાં આતંકવાદી હુમલા કરવાનું બંધ કરે.

જયશંકરે કહ્યું- પાકિસ્તાન ઔદ્યોગિક સ્તરે આતંક મચાવી રહ્યું છે

આ પહેલા શનિવારે (23 માર્ચ) વિદેશ મંત્રી એસ જયશંકરે સિંગાપોરમાં એક કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન એક ઉદ્યોગની જેમ આતંકવાદ પેદા કરે છે, પરંતુ ભારત હવે આતંકવાદીઓને સાઇડલાઇન કરવાના મૂડમાં નથી. ભારત હવે આતંકવાદની સમસ્યાને ઇગ્નોર નહીં કરે.

પાકિસ્તાન સાથે જોડાયેલા સવાલ પર જયશંકરે કહ્યું- દરેક દેશ એક સ્થિર પડોશી ઈચ્છે છે. જો સ્થિર ન હોય તો ઓછામાં ઓછું પડોશીઓ શાંત હોવા જોઈએ. પાકિસ્તાનનું નામ લીધા વિના જયશંકરે કહ્યું કે સારો પાડોશી મેળવવામાં આપણે થોડા કમનસીબ રહ્યા છીએ. જે પાડોશી દેશ ચલાવવા માટે આતંકનો ઉપયોગ કરે છે તે હકીકત પણ છુપાવતો નથી તેની સાથે તમે કેવી રીતે વ્યવહાર કરશો? આને અવગણીને આપણે કોઈ રસ્તો શોધી શકતા નથી.

Leave a comment