લોકસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્રની જેમ રાજ્ય સરકારે પણ રાહતનો પટારો ખોલ્યો છે. ગુજરાત સરકારે આજે વિજ ફ્યુઅલ સરચાર્જમાં એક જ ઝાટકે 50 પૈસાનો ઘટાડો કરીને વીજ વપરાશકારોને મોટી રાહત આપી છે. લોકસભા ચૂંટણી જાહેર થાય અને આચારસંહિતા લાગૂ પડે તે પૂર્વે જ વીજ ફ્યુઅલ સરચાર્જ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે વખતો વખત આ સરચાર્જમાં વધારો ઝીંકવામાં આવતો હોય છે. જો કે આ ચૂંટણી વર્ષ હોવાથી લાંબા વખત પછી ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
આ નિર્ણય અંગે રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. 3.35 પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવતો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાને પરિણામે એકંદરે વીજ ખરીદી ખર્ચમાં ઘટાડો થયો છે. જેને લઈને પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફ્યુઅલ સરચાર્જના દરમાં ઘટાડો થયો છે. આથી જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જ રૂ. 3.35 પ્રતિ યુનિટથી ઘટીને રૂ. 2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવાનો થાય છે.
ઊર્જા મંત્રી દેસાઇએ વધુમાં કહ્યું હતું કે, ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાના ઘટાડાના કારણે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂ 1,340 કરોડનો લાભ થશે.જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે, તેવા કિસ્સામાં ઉપરોક્ત FPPPAના ઘટાડાને કારણે અંદાજે રૂ.57 ની માસિક બચત થશે તેમ, તેમણે ઉમેર્યું હતું.
