હવે PSIની લેખિત તથા ફિઝિકલ ટેસ્ટમાં ધરખમ ફેરફાર આવશે

એલઆરડી બાદ હવે પીએસઆઈની ભરતીના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. PSIની પરીક્ષામાં એલઆરડીની જેમ જ વજનનો માપદંડ હટાવી દેવામાં આવશે. માત્ર એટલું જ નહીં દોડમાંથી માર્કિંગ સિસ્ટમ પણ દૂર કરવામાં આવશે. તેમજ ફિઝિકલ પરીક્ષા લેવામાં તો આવશે પણ તે માત્ર ક્વોલિફાઇંગ પરીક્ષા જ હશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લે વર્ષ 2021માં PSIની ભરતી પરીક્ષા યોજવામાં આવી હતી.

આ ઉપરાંત લેખિત પરીક્ષામાં પણ ધરખમ ફેરફાર આવશે. જેમાં 400 માર્કને બદલે 300 માર્કની પરીક્ષા જ લેવામાં આવશે. આ પરીક્ષામાં 200 ઓબ્જેક્ટિવ અને 100 માર્કની ડિસ્ક્રીપ્ટીવ(કોઈ એક સબ્જેક્ટ આપે અને તેના પર જવાબો લખવાના રહે છે) પરીક્ષા યોજાશે. આ અંગે સરકાર આગામી 10 દિવસમાં સત્તાવાર જાહેરાત કરશે.

7 ફેબ્રુઆરીએ LRD ભરતીના નિયમો બદલ્યા

ગત 7 ફેબ્રુઆરીના રોજ રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા હતા, જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. એમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. એને બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, એના કોઈ ગુણ રહેશે નહીં.

LRDમાં શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઇંગ રહેશે

પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે એના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યાર બાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.

MCQ ટેસ્ટને બદલે 200 માર્ક્સનું એક જ પેપર લેવાશે

અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. એને બદલે હવે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ 2 ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે. જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાઇકોલોજી, સોશિયોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.

કોર્સના આધારે વધારાના ગુણ આપવામાં આવશે

પહેલાં લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા, જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહીં, પરંતુ કોર્સના સમયગાળા (Duration)ના આધારે આપવામાં આવશે.

Leave a comment