~ કોંગ્રેસના 9 સહિત વિપક્ષના 15 સાંસદ સત્ર માટે સસ્પેન્ડ
સંસદના શિયાળુ સત્રના નવમા દિવસે ગુરુવારે કાર્યવાહી શરૂ થતાંની સાથે જ વિપક્ષના સાંસદોએ સંસદની સુરક્ષામાં ચૂક મામલે હોબાળો મચાવ્યો હતો. લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં વિપક્ષના નેતાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. દિવસ દરમિયાન ઘણી વખત ગૃહને સ્થગિત કરવું પડ્યું હતું.
આ પછી, કોંગ્રેસના 9 સહિત વિપક્ષના 15 સાંસદોને સત્ર માટે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.લોકસભામાં કોંગ્રેસના સાંસદ, ટીએન પ્રતાપન, હિબી એડન, જોથિમાની, રામ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસ, મણિકમ ટાગોર, એમડી જાવેદ, વીકે શ્રીકંદન અને બેની બેહનનને સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં CPI (M) અને DMKના 2-2 અને CPIના એક નેતાનો સમાવેશ થાય છે. જ્યારે, રાજ્યસભાના TMCના સાંસદ ડેરેક ઓ’બ્રાયનને પણ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
રાજ્યસભામાં TMCના સાંસદ ડેરેક ઓ’બ્રાયન વેલમાં આવી ગયા, જેનાથી સ્પીકર જગદીપ ધનખડ નારાજ થયા. ધનખડે ડેરેકને ગૃહમાંથી બહાર જવા માટે કહ્યું. આ પછી, ડેરેકને સમગ્ર સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
બાદમાં સ્પીકર જગદીપ ધનખડે ગૃહને 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું હતું. જ્યારે કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે સસ્પેન્ડેડ સભ્ય ડેરેક ફરીથી ગૃહમાં આવ્યા અને કાર્યવાહી બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.
લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા
લોકસભામાં વિપક્ષના સૂત્રોચ્ચારથી નારાજ સ્પીકર ઓમ બિરલાએ બધાને શાંતિ જાળવવા કહ્યું. તેમણે કહ્યું હતું કે ગઈકાલે બનેલી ઘટનાથી દરેક ચિંતિત છે. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને એની ચર્ચા કરવામાં આવશે. તેમણે દરેકને ખાતરી આપી હતી કે લોકસભાના અધ્યક્ષ તરીકે દરેકની સુરક્ષા કરવાની જવાબદારી મારી છે.
લોકસભામાં આજે ત્રણ નવાં ક્રિમિનલ બિલ પર ચર્ચા થવાની છે. આ અંગે શુક્રવાર 15મી ડિસેમ્બરે મતદાન થશે. ગૃહમંત્રી અમિત શાહે 11 ડિસેમ્બરે ત્રણેય જૂનાં ફોજદારી બિલો પાછાં ખેંચી લીધાં હતાં અને રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જૂના બિલના 5 સેક્શનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મોટા ભાગના સુધારા વ્યાકરણ અને ભાષા સાથે સંબંધિત છે. સ્પીકર ઓમ બિરલાએ ત્રણેય બિલ પર ચર્ચા કરવા માટે કુલ 12 કલાકનો સમય આપ્યો છે.
રક્ષામંત્રીએ કહ્યું- કોને પાસ આપીએ છીએ એતેનું ધ્યાન રાખવું પડશે
રક્ષામંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું હતું કે ગઈકાલની ઘટનાની બધાએ નિંદા કરી છે. સ્પીકરે આ બાબતની નોંધ લીધી છે. અમારે ધ્યાન રાખવું પડશે કે આપણે સંસદમાં પ્રવેશવા માટે કોને પાસ આપીએ છીએ, એનું ધ્યાન રાખવું પડશે. સાંસદોએ એવા લોકોને પાસ ન આપવા જે અરાજકતાનું વાતાવરણ સર્જી શકે. ભવિષ્યમાં તમામ સાવચેતી રાખવામાં આવશે.
રાજ્યસભામાં પણ અધ્યક્ષે ટીએમસી સાંસદને રાજ્યસભામાંથી હાંકી કાઢ્યા હતા
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ ડેરેક ઓ’બ્રાયનની ગૃહમાં વેલમાં આવવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. જ્યારે તેઓ સંમત ન થયા તો અધ્યક્ષે તેમને બહાર જવા કહ્યું. અધ્યક્ષે કહ્યું હતું કે તમારું વર્તન જોઈ મારું માથું શરમથી ઝૂકી જાય છે. આ પછી તેમણે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.
વિરોધપક્ષો રાષ્ટ્રપતિને મળવા માટે સમય માગશે
આ તરફ 13 ડિસેમ્બરે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ સંસદમાં સુરક્ષામાં ચૂક મામલે રાષ્ટ્રપતિને મળશે. કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં બેઠક બાદ વિરોધપક્ષના નેતાઓ રાષ્ટ્રપતિને મળવા માટે સમય માગશે. વિપક્ષી પાર્ટીઓ પણ આ મુદ્દે બંને ગૃહોમાં અમિત શાહના નિવેદનની માગ કરશે.
