અદાણી વિદ્યામંદિર ખાતે બાળકોએ ગુરુજનોના ચરણ પખાળી સંસ્કાર અને સંસ્કૃતિના દર્શન કરાવ્યા

આજના કળિયુગમાં જો સતયુગના સાક્ષાત્ દર્શન થાય તો નવાઈ લાગે કે નહીં? ગુરુશિષ્ય પંરપરાન ભારતન સમૃદ્ધ ઐતિહાસિક વારસાને અદાણી વિદ્યામંદિરમાં તાદૃશ કરવામાં આવ્યો. ગુરુપૂર્ણિમાના પાવન પર્વે વિદ્યામંદિરના ભૂલકાઓએ શિક્ષકગણની ગુરુવર્ય વંદના કરી. વિદ્યાર્થીઓએ પંચામૃતથી શિક્ષકોના ચરણ પખાળ્યા, તિલકપુષ્પોથી વંદના કરી ગુરુશિષ્ય પરંપરાના આબેહૂબ દર્શન કરાવ્યા. શિસ્તબદ્ધ વિદ્યાર્થીઓના સંસ્કારો અને સમર્પણ જોઈને શિક્ષકો પણ ગદગદ થઈ ગયા હતા.  

ગુરુશિષ્યના શાશ્વત બંધનની ઉજવણી કરતા પર્વ ગુરુપૂર્ણિમાની અદાણી વિદ્યામંદિર ખાતે પરંપરાગત ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર (AVMA) ખાતે જાણે પરંપરાગત ગુરુકુળ સમો માહોલ બની ગયો હતો. વિદ્યામંદિરમાં પ્રવેશતા જ અલૌકિક વાતાવરણનો અનુભવ થતો હતો. શાળામાં ગુરુઓનું આગમન થતા જ વિદ્યાર્થીઓએ તેમનું ગુરુવંદનાના શ્લોકો અને પુષ્પોથી સ્વાગત અભિનંદન કર્યુ.

ગુરુપૂર્ણિમાના એ આપણું ઘડતર કરનારા તમામ ગુરુજનોના ઋણસ્વીકારનો અવસર છે. ગુરુજનો પ્રત્યે શ્રદ્ધા અને આદર વ્યક્ત કરતાં બાળકોએ શિક્ષકોના ચરણ પખાળ્યા. તેઓને કુમકુમ તિલક અને પુષ્પો અર્પણ કરી વંદના કરી. એટલું જ નહીં, ગુરુદક્ષિણામાં વિદ્યાર્થીઓએ ખાતરીબદ્ધ વચનો આપ્યા હતા.

આ અવસરની ખાસ વાત તો એ રહી, કે વિદ્યાર્થીઓએ પોતાના મૂલ્યવાન ઐતિહાસીક વારસાનો જાતઅનુભવ કર્યો, વળી તેમણે ગુરુઓને આપેલા વચનપાલન અર્થે સ્વયંના ઉત્થાન માટે પ્રવૃત્તિઓ કરવાની ખાતરી આપી હતી. વિદ્યાર્થીઓની ભાવવંદનાથી પ્રભાવિત શિક્ષકોએ શુભાશિષ પ્રદાન કર્યા હતા.

ગુણવત્તાયુક્ત શિક્ષણને આગળ ધપાવતું શિક્ષા મોડેલ બનાવવામાં AVMA અનોખુ યોગદાન આપી રહ્યું છે.

Leave a comment