~ 311 સ્કૂલોનું 100 ટકા પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 73.27% પરિણામ આવ્યું છે, ગયા વર્ષ કરતાં 13.64 ટકા ઓછું છે. ગયા વર્ષે 86.91 ટકા રિઝલ્ટ હતું. શિક્ષણ બોર્ડની વેબસાઈટ http://www.gseb.org પર સવારે 7-30એ વાગ્યે જાહેર કરાયું છે. તેમજ વોટ્સએપ નંબર 6357300971 પર વિદ્યાર્થી સીટ નંબર મોકલી પોતાનું પરિણામ મેળવી શકે છે. ગત વર્ષે 2022માં ધો. 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટમાં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. આ વર્ષે કોરોના બેચ માટે પરિણામ પડકારજનક રહેશે તેવું માનવામાં આવે છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ 8 વાગ્યે જાહેર થવાનું હતું.
ધો.12 સામાન્ય પરિણામના અપડેટ્સ…
- સૌથી વધુ પરિણામનો જિલ્લો કચ્છ- 84.59 ટકા
- સૌથી ઓછા પરિણામનો જિલ્લો દાહોદ 54.67 ટકા
- સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર વાગધ્રા- 95.85
- સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર દેવગઢબારિયા- 36.28
- 311 સ્કૂલોનું 100 ટકા પરિણામ
- વિદ્યાર્થીઓનું પરિણામ- 67.03 ટકા
- વિદ્યાર્થિનીઓનું પરિણામ- 80.39 ટકા
- વિદ્યાર્થિનીઓનું પરિણામ 13.36 ટકા વધુ
- 10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોની સંખ્યા- 44
- દિવ્યાંગ ઉમેદવારની સંખ્યા- 3097
- 20 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનાર દિવ્યાંગોની સંખ્યા- 638
- ખાનગી નિયમિત ઉમેદવારોના પરિણામની ટકાવારી- 33.86 ટકા
ગ્રેડવાઈઝ વિદ્યાર્થીઓની સંખ્યા
| A1 | 1,874 |
| A2 | 20,896 |
| B1 | 51,607 |
| B2 | 82,527 |
| C1 | 1,00,699 |
| C2 | 76,352 |
| D | 11,936 |
| E1 | 131 |
કયા માધ્યમનું કેટલું પરિણામ
| ગુજરાતી | 72.83% |
| હિન્દી | 67.45% |
| મરાઠી | 72.58% |
| ઉર્દૂ | 82.67% |
| સિંધી | 0.00% |
| ઇંગ્લિશ | 79.16% |
| તમીલ | 0.00% |
કારખાનામાં નોકરિયાતની દીકરીના 91 ટકા આવ્યા
યાત્રીબા ચુડાસમા નામની વિદ્યાર્થીને જણાવ્યું હતું કે, મારે 91 ટકા આવ્યા છે. પરિવારમાં વધારે સભ્યો હોવાના કારણે હું દિવસે ભણવાને સમય ઓછો આપી શકતી હતી. જેથી આખી રાત જ વાંચતી હતી. સવારે સ્કૂલ અને ટ્યૂશનમાં જે ભણાવે તે જ ભણતી હતી. મેં એકાઉન્ટ અને સ્ટેટ્સમાં વધારે ધ્યાન આપ્યું છે. જેમાં મારે સારા માર્કસ પણ આવ્યા છે. મારા પપ્પા કારખાનામાં નોકરી કરે છે. મારે હવે એમબીએ કરવું છે અને એચઆરમાં સારી જોબ કરવી છે.
કર્મકાંડીના દીકરાને 99.69 પર્સન્ટાઇલ
ઉદય મહેતા નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, મારે 99.69 પર્સન્ટાઇલ છે. રોજ 10 થી 11 કલાક મહેનત કરતો હતો. મારા સ્કૂલ અને ઘરના સભ્યોનો સપોર્ટ ખૂબ સારો રહ્યો છે. મારા પિતા કર્મકાંડ વિધિ કરાવે છે. મારે હવે LLB કરવું છે. દેશ માટે કંઈ કામ કરવાની કરી ઇચ્છા છે.
કયા વિષયમાં કેટલા ટકા પરિણામ
| ગુજરાતી (F.L.) | 91.99% |
| ઇંગ્લિશ (F.L.) | 94.38% |
| હિન્દી(S.L.) | 94.91% |
| ઇંગ્લિશ(S.L.) | 87.53% |
| ઇકોનોમિક્સ | 88.32% |
| ઓર્ગ. ઓફ કોમર્સ | 90.05% |
| સંસ્કૃત | 85.95% |
| સ્ટેટિસ્ટીક | 85.83% |
| ફિલોસોફી | 76.69% |
| સમાજશાસ્ત્ર | 92.16% |
| મનોવિજ્ઞાન | 88.80% |
| જિયોગ્રાફી | 90.08% |
| એલિમેન્ટ્સ ઓફ એક્ટ. | 86.20% |
| કોમ્પ્યુટર- T | 86.93% |
482 કેન્દ્રો પર 4.77 લાખ રેગ્યુલર સ્ટુડન્ટે પરીક્ષા આપી
માર્ચ 2023ની સામાન્ય પ્રવાહની પરીક્ષા રાજ્યનાં 482 કેન્દ્રો ઉપર લેવામાં આવી હતી. જેમાં 4,79,298 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમાંથી 3,49,792 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 % ટકા આવ્યું છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા રિપિટર ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોંધાયા હતા, તે પૈકી 28,321 પરીક્ષા આપી હતી. જેમાં 11,205 ઉમેદવાર પાસ થયા છે. આમ રિપિટર ઉમેદવારોનું પરિણામ 39.56% ટકા આવ્યું છે.
નોંધાયેલા કરતાં અડધાથી ઓછા ખાનગી વિદ્યાર્થીઓ પાસ
ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 34,533 ખાનગી નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 31,988 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 10,830 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ખાનગી નિયમિત ઉમેદવારોનું પરિણામ 33.86 % ટકા આવ્યું છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ખાનગી રિપિટર ઉમેદવારો તરીકે 12,849 ઉમેદવારો નોંધાયેલા હતા, તે પૈકી 11,833 ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 3,425 ઉમેદવાર પાસ થયા છે. આમ ખાનગી રિપિટર ઉમેદવારોનું પરિણામ 28.94 % ટકા આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં આવેલી જુદી જુદી જેલોમાં રહેલા બંદીવાનોની પરીક્ષા જેલની અંદર પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા ઊભી કરીને લેવાઈ હતી. જેમાં કુલ 56 બંદીવાનોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 22 ઉમેદવાર પાસ થયા છે.
આ વર્ષે ધો.10ના રિઝલ્ટ બાદ ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ
અગાઉ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. ત્યાર બાદ ધોરણ 10નું પરિણામ જાહેર થયું અને આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. અગાઉના પરિણામની જેમ જ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ તથા વ્હોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકશે. રાજ્યભરના 4.50 લાખ જેટલા અંદાજિત વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. અગાઉ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. ત્યારથી વિદ્યાર્થીઓમાં પરિણામને લઈને આતુરતા હતી, જેનો હવે અંત આવ્યો છે.
2022માં 86.91 ટકા પરિણામ આવ્યું હતું
2022માં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રેકોર્ડબ્રેક 86.91 ટકા પરિણામ આવ્યું હતું. જેમાં 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગત વર્ષે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું હતું. જો કે, 12 વર્ષની સરખામણીએ એટલે કે વર્ષ 2010થી વર્ષ 2022ના સમયગાળામાં પરિણામની ટકાવારી જોઈએ તો વર્ષ 2022નું પરિણામ અગાઉનાં તમામ વર્ષો કરતાં વધારે નોંધાયું હતું.
1064 સ્કૂલમાં 100 ટકા પરિણામ આવ્યું હતું
2022માં સુબીર, છાપી, અલારસા કેન્દ્રમાં 100 ટકા પરિણામ આવ્યું હતું. સૌથી ઓછું પરિણામ લાવનારું કેન્દ્ર ડભોઈ હતું, જેમાં માત્ર 56.43 ટકા જ પરિણામ આવ્યું હતું, જ્યારે એક જ સ્કૂલમાં 10 ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું હતું. 1064 સ્કૂલમાં 100 ટકા પરિણામ આવ્યું હતું. વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 4.56 ટકા વધુ આવ્યું હતું.
