પીએમ મોદી 28મેના રોજ નવા સંસદ ભવનનું ઉદઘાટન કરશે

~ કોંગ્રેસ, ડાબેરીઓ, આપ, ઉદ્ધવની શિવસેના, આરજેડી, જેડીયુ સહિત અનેક પક્ષોએ બહિષ્કારની કરી જાહેરાત

મોદી સરકાર 9 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આ ખાસ અવસર પર ગૃહમંત્રી અમિત શાહ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે જેમાં તેઓ 9 વર્ષમાં સરકારની ઉપલબ્ધિઓ જણાવી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે નવું સંસદ ભવન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીનો પુરાવો છે, તે રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન તેઓ 60 હજાર શ્રમ યોગીઓનું સન્માન પણ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પત્રકાર પરિષદને સંબોધતા મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આગામી 28મેના રોજ વડાપ્રધાન મોદી નવા સંસદ ભવનનું ઉદઘાટન કરશે. તેમણે કહ્યું કે તેની સાથે સાથે પીએમ મોદી 60000 શ્રમયોગીઓનું સન્માન પણ કરશે. આ નવું સંસદ ભવન પીએમ મોદીની દુરદર્શિતાનું જ પરિણામ છે. જ્યારે બીજી બાજુ વિપક્ષો તરફથી આ સંસદ ભવનના ઉદઘાટન સમારોહનો બહિષ્કાર કરવાના અહેવાલ આવી રહ્યા છે. જેમાં કોંગ્રેસ સહિત ટોચના વિપક્ષી દળો સામેલ છે. ગૃહમંત્રી અમિત શાહે આ દરમિયાન સેંગોલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સેંગોલનું આપણા ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આપણા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ સેંગોલને સ્વીકાર્યું હતું. સેંગોલ અંગ્રેજોથી સત્તા મળવાનું પ્રતીક છે.

ઐતિહાસિક પરંપરાને પુનર્જીવિત કરવામાં આવશે – અમિત શાહ

અમિત શાહે કહ્યું કે, ઉદ્ઘાટન સમારોહમાં એક ઐતિહાસિક પરંપરાને પુનર્જીવિત કરવામાં આવશે, જેની પાછળ યુગોથી જોડાયેલી પરંપરા છે. તેણે કહ્યું કે તેને તમિલમાં સેંગોલ કહેવામાં આવે છે જેનો શાબ્દિક અર્થ થાય છે સંપત્તિથી સંપન્ન. તેમણે કહ્યું કે, 14 ઓગસ્ટ, 1947ના રોજ એક અનોખી ઘટના બની હતી. આજે 75 વર્ષ બાદ દેશના મોટાભાગના નાગરિકો આ વાતથી વાકેફ નથી. સેંગોલે આપણા ઇતિહાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સેંગોલ સત્તાના સ્થાનાંતરણનું પ્રતીક બની ગયું. આ અંગેની માહિતી જ્યારે પીએમ મોદીને મળી તો તેની સંપૂર્ણ તપાસ કરાવી હતી. આ તપાસ બાદ નક્કી થયું કે તેને દેશ સમક્ષ મુકવામાં આવે. આ માટે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો.

ભારતની સંસદનું નવું ભવન બનીને તૈયાર થઈ ગયું છે ત્યારે પીએમ મોદી આગામી 28મેના રોજ તેનું ઉદઘાટન કરવાના છે. આ દરમિયાન ઉદઘાટન અંગે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ, ડાબેરીઓ અને આમ આદમી પાર્ટી સહિત વિપક્ષી દળોનું કહેવું છે કે ઉદઘાટન પીએમ મોદીએ નહીં પણ રાષ્ટ્રપતિએ કરવું જોઈએ. આટલું જ નહીં વિપક્ષે સરકાર સામે આક્ષેપ કર્યો છે કે તે રાષ્ટ્રપતિની ગરીમાને નબળી પાડી રહી છે. તેમને સરકારના વડા હોવા છતાં ઉદઘાટન માટે બોલાવાયા નથી. આ દરમિયાન કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, એનસીપી, આરજેડી, જદયુ સહિત 19 વિપક્ષી દળોએ આ સમારોહમાં હાજરી નહીં આપી તેનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે. 

કયા કયા પક્ષોએ કરી છે બહિષ્કારની જાહેરાત

પીએમ મોદીના હસ્તે સંસદના ઉદઘાટન અંગે સૌથી પહેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ સવાલ ઊઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ઉદઘાટન પ્રધાનમંત્રીએ નહીં પણ રાષ્ટ્રપતિએ કરવું જોઈએ. તેમના પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે સહિત અનેક વિપક્ષી દળોએ મોરચો ખોલ્યો હતો. હવે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના, કોંગ્રેસ, આપ, એનસીપી, સીપીઆઈ, સીપીએમ, એઆઈએમઆઈએમ, આરજેડી અને જેડીયુએ પણ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે. બંગાળની સત્તાધારી પાર્ટી ટીએમસી અને તમિલનાડુની ડીએમકે પણ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપે. 

આ પક્ષો સામેલ થવાની શક્યતા

હાલમાં ભારત રાષ્ટ્ર સમિતિ અને અકાલી દળ વતી કોઈ નિર્ણય આવ્યો નથી. એવું મનાય છે કે બહિષ્કારનો નિર્ણય બીઆરએસ પણ કરી શકે છે. જોકે અકાલી દળ આ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. જોકે તેમના વતી પણ કોઈ નિર્ણય આવ્યો નથી. જ્યારે યુપીની મુખ્ય વિપક્ષી પાર્ટી સપા અને આરએલડીએ કાર્યક્રમના બહિષ્કારની જાહેરાત કરી છે. જોકે ચર્ચા એવી છે કે માયાવતીની બસપા અને આંધ્રપ્રદેશની સત્તાધારી વાયએસઆર કોંગ્રેસ આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે. બીજેડીએ હજુ આ મામલે કોઈ નિર્ણય કર્યો નથી. 

Leave a comment