રાજ્યભરમાં પુલોની સ્થિતિ પર સરકારની નવી નીતિ

~ બ્રિજની નવી નીતિ અંગેની માર્ગદર્શિકા જાહેર

~ પુલના નિરીક્ષણની સંપૂર્ણ જવાબદારી ડે.એક્ઝિક્યુટિવ ઈજનેરના શિરે

રાજ્ય સરકારે બ્રિજની સ્થિતિ પર નવી નીતિ જાહેર કરી છે. રાજ્યભરમાં આવેલા બ્રિજના ઈન્સ્પેક્શનને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્દેશ કરી માર્ગદર્શિકા જાહેર કરી છે. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેમજ વાહનચાલકોને હાંલાકી ન ભોગવવી પડે તે હેતુથી સરકારે બ્રિજની નીતિ નીતિ અંગેની માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકા મુજબ રાજ્યભરમાં જેટલા પણ બ્રિજ આવેલા છે, તેનું વર્ષમાં 2 વખત ઈન્સ્પેક્શન કરવાની જાહેરાત કરાઈ છે. તમામ બ્રિજના નિરીક્ષણની સંપૂર્ણ જવાબદારી ડે.એક્ઝિક્યુટિવ ઈજનેરના શિરે હશે.

તમામ બ્રિજોનું વર્ષમાં 2 વખત ઈન્સ્પેક્શન કરાશે

દરમિયાન રાજ્ય સરકારે બ્રિજની સ્થિતિ અને કામગીરીને લઈને નવી નીતિ જાહેર કરી છે. રાજ્ય સરકારના માર્ગદર્શિકા મુજબ બ્રિજનું 6 મહિનામાં એકવાર ઈન્સ્પેક્શન કરવામાં આવશે, એટલે કે વર્ષમાં 2 વખત ઈન્સ્પેક્શન કરવું ફરજીયાત રહેશે. રાજ્યભરમાં આવેલા તમામ બ્રિજો પર કોઈ મોટી દુર્ઘટના ન બને તે હેતુને ધ્યાને રાખી સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી બ્રિજનું વર્ષમાં બે વખત ઈન્સ્પેક્શન કરવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યના તમામ બ્રિજોનું વર્ષનમાં મે મહિનો અને ઓક્ટોબર મહિનામાં ઈન્સ્પેક્શન કરવાનું જણાવ્યું છે. બ્રિજની નવી નીતિ અંગેની માર્ગદર્શિકા મુજબ તમામ બ્રિજોની ઈન્સ્પેક્શનની સંપૂર્ણ જવાબદારી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઈઝનેરના શિરે રહેશે.

હાટકેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ અંગે વિપક્ષોનો હોબાળો

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ બનાવવામાં નબળી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું હોવાનો આક્ષેપ વિપક્ષો દ્વારા કરાયો હતો. જ્યારથી આ બ્રિજ બન્યો છે, ત્યારથી બંધ હાલતમાં હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. બ્રિજ છેલ્લા 6 મહિનાથી રિપેરિંગના નામે બંધ કરાયો છે. બ્રિજ બનીને તૈયાર થયો ત્યારે 50 વર્ષ સુધી ચાલશે તેવો પણ દાવો કરાયો હતો, જોકે 5 વર્ષમાં રિપેરિંગ માટે પાંચ વખત બ્રિજ બંધ કરવાની નોબત આવી છે. હાટકેશ્વરના આ બ્રિજનો 2022માં જ સોલિડ એન્ડ મટિરિયલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં રિપોર્ટ કરાયો હતો. આ રિપોર્ટમાં છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું હોવાનો ખુલાસો થયો છે. ત્યારે વિપક્ષે આક્ષેપ કર્યો છે કે 2022માં બ્રિજની ક્વોલિટીનો રિપોર્ટ આવી ગયો હતો, પરંતુ ચૂંટણી હોવાથી તેને દબાવીને રાખવામાં આવ્યો.

Leave a comment