~ વેક્સિનેશન અભિયાનની મદદથી 34 લાખ લોકોના જીવ બચી ગયા: રિપોર્ટ
~ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ તેના રિપોર્ટમાં આ દાવો કર્યો હતો – અબજો ડોલરનું નુકસાન થતા રહી ગયું
~ વેક્સિનેશન અને સમયાંતરે ઊઠાવાયેલા અન્ય પગલાને કારણે દેશને 18.3 અબજ ડૉલરના નુકસાનથી પણ બચાવી લેવાયો
કોરોના કાળ દરમિયાન સફળ વેક્સિનેશન અભિયાનને કારણે જ ભારતમાં 34 લાખથી વધુ લોકોને બચાવવામાં સફળતા મળી હતી. આ ઉપરાંત વેક્સિનેશન અને સમયાંતરે ઊઠાવાયેલા અન્ય પગલાને કારણે દેશને 18.3 અબજ ડૉલરના નુકસાનથી પણ બચાવી લેવાયો હતો.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના રિપોર્ટમાં દાવો
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના રિપોર્ટ હીલિંગ ધ ઈકોનોમી : એસ્ટીમેટિંગ ધ ઈકોનોમિક ઈમ્પેક્ટ ઓફ ઈન્ડિયાઝ વેક્સિનેશન એન્ડ રિલેટેડ મેજર્સમાં આ તથ્ય સામે આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ આ રિપોર્ટ જારી કર્યો હતો. આ રિપોર્ટમાં પ્રથમ લૉકડાઉનથી લઈને વેક્સિનેશન સુધી અને તેની વચ્ચે ખેતી, એમએસએમઈ, ગરીબો, મજૂર તથા અન્ય વર્ગો માટે સમયાંતરે જારી પેકેજની અસર અંગે વિસ્તૃત વિશ્લેષણ કરાયું હતું.
ભારતમાં લૉકડાઉન સફળ
ભારતમાં અચાનક લાગુ કરાયેલા કડક લૉકડાઉનની ભલે વિપક્ષે આકરી ટીકા કરી હોય કે સવાલો ઊઠાવ્યા હોય પણ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અનુસાર ફક્ત તેના લીધે જ માર્ચ અને એપ્રિલ વચ્ચે એક લાખથી વધુ લોકોને બચાવવામાં સફળતા મળી હતી. તેના કારણે જ ભારતમાં કોરોનાની પહેલી લહેર 175 દિવસમાં પીક પર પહોંચી હતી. જોક રશિયા, કેનેડા, ફ્રાન્સ, ઈટાલી અને જર્મની જેવા દેશોમાં 50 દિવસમાં જ પીક આવી ગયું હતું.
અબજો ડૉલરનું નુકસાન રોકવામાં સફળ રહ્યું ભારત
અહેવાલ અનુસાર સફળ વેક્સિનેશન અભિયાન ફક્ત જીવ બચાવવામાં જ સફળ નથી રહ્યું પણ તેનાથી ભારતના 18.3 અબજ ડૉલર પણ બચી ગયા. જો વેક્સિનેશન અભિયાન સફળતાપૂર્વક ન ચલાવાયું હોત તો ભારતે આ ભારે ભરખમ નુકસાન વેઠવું પડ્યું હોત. અહેવાલ અનુસાર વેક્સિનેશન અભિયાન પર થયેલા આ ખર્ચને ઘટાડી દઈએ તો પણ ભારતને આ અભિયાનથી 15.42 અબજ ડૉલરનો ચોખ્ખો નફો થયો છે.
ભારતનું વેક્સિનેશન અભિયાન સૌથી સફળ
પીએમ મોદીના નેતૃત્વમાં ભારત દુનિયાના વિકસિત દેશોની સાથે જ ભારતમાં તો કોરોનાની વેક્સિન વિકસિત કરવામાં સફળ રહ્યું પણ તેની સાથે તેણે મોટાપાયે ઉત્પાદન કરી 220 કરોડથી વધુ ડૉઝ આપ્યા. અહેવાલ અનુસાર 97 ટકા એક ડૉઝ અને 90 ટકાથી વધુ લોકો બંને ડૉઝ અને 30 ટકાથી વધુ લોકોને બૂસ્ટર ડૉઝની સાથે ભારતનું વેક્સિનેશન અભિયાન દુનિયામાં સૌથી મોટું અને સફળ અભિયાન કહેવાય છે.
