~ શિવરાત્રી મેળામાં લાખો શિવભકતો ભવનાથમાં ઉમટી પડયા
~ જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનું સમાપન થશે
ગુજરાત સહિત દેશભરમાં આજે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી થઈ રહી છે. આજે વહેલી સવારથી શિવના મંદિરોમાં શિવ ભક્તોની ભીડ જોવા મળી હતી. આજે શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. દેશના પ્રમુખ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. સોમનાથ, મહાકાલેશ્વર અને રામેશ્વરમાં ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યુ છે. આ ઉપરાંત જૂનાગઢના ભવનાથમાં ભક્તો સાથે સાધુ-સંતોનો મેળાવડો. સાંજે ભવનાથમાં ભવ્ય રવેડી નિકળશે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતોના મૃગીકુંડમાં સ્નાન બાદ મહાશિવરાત્રિ મેળો પૂર્ણ થશે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠ પંથકમાં ભક્તિભાવ વાતાવરણ બની રહેશે.
હર હરના નાદથી ગુંજ્યા શિવાલયો
મહાશિવરાત્રી એ હિંદુ સંસ્કૃતિમાં એક મહત્વપૂર્ણ પર્વ છે. હિંદુ ધર્મના મુખ્ય ત્રણ દેવોમાંના એક મહાદેવની ભક્તિ માટે દર વર્ષે આ પર્વ ઉજવવામાં આવે છે. આજે ગુજરાત સહિત દેશભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. ગુજરાતમાં મહાદેવના મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનું આજે સમાપન થશે. ભવનાથમાં હર હર મહાદેવનાં નાદ સાથે શરૂ થયેલા શિવરાત્રી મેળામાં ભજન, ભકિત અને ભોજનના સમુદ્રમાં ડુબકી લગાવવા લાખો શિવભકતો ભવનાથમાં ઉમટી પડયા છે. મહાશિવરાત્રીના મેળામાં દિગંબર સાધુઓની દિવ્યતાથી લાખો ભાવિકોને અનેરી અનુભૂતિ થઇ રહી છે. ભવનાથમાં આજે શિવમય માહોલ બન્યો છે. આજે મહાશિવરાત્રી મેળાનો છેલ્લો દિવસ હોવાથી હજારો ભાવિકો ઉમટી પડ્યા છે.
શિવાલયોમાં કરાયો શણગાર
આજે મહાશિવરાત્રીનો પર્વ હોવાને કારણે રાજ્યના શિવજીના મંદિરોમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખેડા જિલ્લામાં કપડવંજનું ઉત્કંઠેશ્વર મહાદેવ, ગળતેશ્વર મહાદેવ, નડિયાદનું માઈ મંદિર અને ડાકોરના ડંકનાથ મહાદેવમાં ભાવિક ભક્તોની ભીડ જામી છે. મહાશિવરાત્રીનો પાવન પર્વ હોય ભક્તોને આકર્ષવા માટે શિવાલયોમાં આકર્ષક શણગાર કરાયો છે. આજે મંદિરોમાં પ્રસાદમાં ભાંગનું વિતરણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના મોટા ભાગના મંદિરોમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે.
