~ ઈઝરાઈલ અને લેબનાનમાં પણ મોતના આંકડા સામે આવવાની સંભાવના: સુત્રો
તુર્કી અને તેના આસપાસના વિસ્તારમાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નૂરદગીથી 23 કિમી દુર આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.9 માપવામાં આવી છે. મળતા અહેવાલો અનુસાર ભૂકંપ દરમિયાન 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 1000થી વધુ લોકો ઘવાયાની માહિતી મળી રહી છે. અહેવાલો પરથી ઈઝરાઈલ અને લેબનાનમાં પણ મોતના આંકડા સામે આવવાની સંભાવના છે. તેમજ 1700થી વધુ ઈમારતોને અતિ નુકસાન થયું છે. જોકે, આ આંકડો હજુ વધી શકે છે.
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર ગાજિયાટેપથી લગભગ 33 કિલોમીટર અને નુર્દગી શહેરથી લગભગ 26 કિલોમીટર દૂર હતું. આ 18 કિલોમીટર ઊંડાણમાં કેન્દ્રિત હતું. ભૂકંપના આંચકા સીરિયા સુધી પણ અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે તુર્કી અને સીરિયામાં અનેક ઈમારતોને નુકસાન થયાના અહેવાલ છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપના કારણે અનેક જાનહાનિ થવાની આશંકા છે. આ દુર્ઘટના પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કરતા તુર્કીના નાગરિકોને મદદનું આશ્વાશન આપ્યું છે.
વિશ્વના વિવિધ વિસ્તારોમાં દર વર્ષે નાના-મોટા ધરતીકંપો થતા રહે છે. નિષ્ણાતો માને છે કે વિશ્વભરમાં દર વર્ષે 20 હજારથી વધુ વખત ભૂકંપ આવે છે. આમાંના કેટલાક એટલા નાના છે કે તે સિસ્મોગ્રાફ પર પણ નોંધી શકાતા નથી. કેટલાક ધરતીકંપ એટલા શક્તિશાળી હોય છે કે તે ભયંકર વિનાશનું કારણ બને છે. ધરતીની અંદરની ઉથલપાથલને ભૂકંપનું કારણ માનવામાં આવે છે. એક હકીકત એ પણ છે કે આ ધરતીકંપ લાખોની સંખ્યામાં આવે છે, પરંતુ મોટાભાગના આંચકા હળવા હોય છે અને તે ઓળખાતા નથી.
