કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વધતા ઠંડીમાં ઘટાડો

~ માવઠાની અસર પુરી થતાંજ ઠંડીનું જોર વધવાની શકયતા વધશે

~ માવઠું વરસે તો કચ્છમાં રાયડાના પાકને નુકશાન થવાનો ખેડૂતોને ભય

કચ્છ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વધતા ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. બીજી તરફ કમોસમી માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. કચ્છના લોકો છેલ્લા થોડા દિવસથી ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ કરતા હતા. ત્યારે હવામાન વિભાગની આગાહી જાણે સાચી પડતી હોય તેમ કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં બુધવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજ્યના અન્ય જિલ્લાઓમાં તો વરસાદ પણ વરસ્યો છે. જ્યારે કચ્છમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયુ છે. સવારથી સર્જાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે કોઈકવાર સૂર્યનારાયણ કોમળ તડકો વરસાવતા હતા. બાદમાં ફરી વાદળો પાછળ ઢંકાઈ જતા હતા. ત્યારે વાદળછાયા વાતાવરણને લીધે જિલ્લાના હવામાનમાં ભેજનું પ્રમાણ પણ વધ્યુ છે.

 માવઠાની અસર પુરી થતાંજ ઠંડીનું જોર વધવાની શકયતા વધશે. કચ્છમાં માવઠું થશે તો રાયડાના પાકને વધારે નુકશાનીનો ભય છે.રાયડાના પાક પર હાલ  ફૂલ લાગી રહ્યા છે પરિણામે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતી છે. આજે સવારથી વાદળછાયા વાતાવરણના પગલે સૂરજનો પ્રકાશ પણ ધીમો પડી ગયો હતો. 

 વાદળ છાયું વાતાવરણ થાય એટલે એને ઓશીયો કહેવાય છે.  આ વાતાવરણ શિયાળાની ઋતુમાં જ અનુભવાય છે. આવા ઓશિયામાં માવઠું પણ થતું હોય છે.વડીલોના જણાવ્યા પ્રમાણે જયારે પણ ઓશિયો થાય ત્યારથી ગણતરીથી સાડા સાત મહિનામાં વરસાદ થતો હોય છે. તે પણ ચોક્કસ આ સમય દરમ્યાન થોડા ઝાઝા છાંટા પણ પડે છે.

Leave a comment