– બીએસએફના એડિશનલ ડીજીએ લખપત સરહદે કર્યું નિરીક્ષણ
દેશના વડાપ્રધાન રવિવારે ભુજ અાવી રહ્યા છે ત્યારે કચ્છની સુરક્ષા અેજન્સીઅો સતર્ક બની ગઇ છે અને બીઅેસઅેફના અેડિશનલ ડીજીઅે લખપત સહિત સરહદી વિસ્તારોનું જાત નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થા ચકાસી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.28-8, રવિવારના સ્મૃતિ વન સહિત મહત્વના પ્રોજેક્ટના લોકાર્પણ માટે ભુજ અાવી રહ્યા છે ત્યારે કચ્છ સરહદે નાપાક પ્રવૃત્તિને ડામી દેવા માટે સુરક્ષા અેજન્સીઅો વધુ સતર્ક બની છે.
રવિવારે વડાપ્રધાન ભુજ અાવવાના છે તે પહેલા બીઅેસઅેફના અેડિશનલ ડીજી પી.વી. રામાશાસ્ત્રી તા.24-8, બુધવારના સવારે જિલ્લા મથક ભુજ અાવ્યા બાદ બપોરે કચ્છના સરહદી લખપત ગયા હતા અને સંવેદનશીલ ગણાતાં પીલર નંબર 1175 ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. તા.25-8, ગુરૂવારના સવારે કોટેશ્વરમાં મહાદેવ મંદિરે દર્શન કરી બીઅેસઅેફ કેમ્પમાં સ્થાનિક અધિકારીઅો સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ તેઅો લક્કી નાલા ગયા હતા.
સૂત્રોના કહેવા મુજબ બીઅેસઅેફના અેડિશનલ ડીજી હવામાન ખરાબ હોવાના કારણે બાય રોડ અાવ્યા હતા. વધુમાં વરસાદી માહોલ હોઇ અટપટી ક્રિકમાં ગયા ન હતા પરંતુ સ્થાનિકે સંબંધિત અધિકારીઅો દ્વારા તેમને નકશા મારફતે બીઅેસઅેફ પેટ્રોલિંગ અને નાલાની પરિસ્થિતિ અંગે અવગત કરાયા હતા. કચ્છ સરહદનો મોટો ભાગ બીએસએફ હસ્તગત છે અને સરહદે બીઅેસઅેફના જવાનો રાત-દિવસ પહેરો ભરીને મજબૂત દિવાલ બની ઉભા છે. બીઅેસઅેફના અેડિશનલ ડીજીઅે સરહદે પહેરો ભરતા જવાનોની પીઠ થપથપાવી હતી.
