કોરોનાને પગલે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વધુ ભીડ એક્ત્ર ન કરવા કેન્દ્રની રાજ્યોને તાકીદ

દેશમાં કોરોનાના નવા ૧૬,૫૬૧ કેસ : વધુ ૪૯નાં મોત

દેશમાં કોરોનાના દૈનિક સરેરાશ કેસોની સંખ્યા ૧૫,૦૦૦થી વધારે હોવાથી કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને તાકીદ કરી છે કે સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમોમાં મોટી ભીડ એકત્રિત કરવામાં ન આવે અને કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવે.

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને દરેક જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવવાના પણ નિર્દેશ આપ્યા છે. આ અભિયાન ૧૫ દિવસ અને એક મહિના સુધી ચલાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

આ દરમિયાન દેશમાં કોરોનાના નવા ૧૬,૫૬૧ કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૪૨,૨૩,૫૫૭ થઇ ગઇ છે. જ્યારે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૧,૨૩,૫૩૫ થઇ ગઇ છ તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪૯ લોકોના મોત નોંધાતા કોરોનાનો અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૨૬,૯૨૮ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ૧૫૪૧નો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

દૈનિક પોઝિટિવ રેટ ૫.૪૪ ટકા અને સાપ્તાહિક પોઝિટિવ રેટ ૪.૮૮ ટકા નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધી રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ કોરોના વેક્સિનના કુલ ૨૦૭.૪૭ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

Leave a comment